હું સહેજ પણ અસલામતી અનુભવતો નથી:શાહરુખ
લિવૂડના અભિનેતા શાહરુખ ખાનને સુરક્ષા પૂરી પાડવા પાકિસ્તાનના ગૃહપ્રધાન રહેમાન મલિકે આપેલી વણમાગી સલાહ સામે ભારતે કડક પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. મંગળવારે સરકાર સહિત જુદા જુદા રાજકીય પક્ષોએ રહેમાન મલિકનાં નિવેદનને બિનજરૂરી ગણાવીને પોતાના દેશના નાગરિકોની સુરક્ષાની ચિંતા કરવા જણાવ્યું હતું. બીજી બાજુ શાહરૂખે જણાવ્યું હતું કે, ભારત એક મુક્ત અને સુરક્ષિત દેશ છે. ભારતમાં હું સહેજપણ અસલામતિ અનુભવતો નથી. ભારતીય હોવાનો મને ગર્વ છે. શાહરૂખે પત્રકાર પરિષદ યોજીને સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, મે મારા લેખમાં કોઇ પણ જગ્યાએ જણાવ્યું નથી કે હું ભારતમાં અસલામતિ અનુભવું છું. શાહરૂખે જણાવ્યું હતું કે, હું અભિનેતા છું અને મને અભિનેતા રહેવા દો.આ પહેલાં કેન્દ્રીય ગૃહસચિવ આર. કે. સિંહે જણાવ્યું હતું કે, અમે અમારા નાગરિકોની સુરક્ષા કરવા માટે સક્ષમ છીએ. મલિકે પોતાના દેશના નાગરિકોની સુરક્ષા અંગે ચિંતા કરવાની જરૂર છે. કેન્દ્રીય સૂચના અને પ્રસારણ પ્રધાન મનિષ તિવારીએ મલિકનાં નિવેદનની ઝાટકણી કાઢતા જણાવ્યું હતું કે, રહેમાન મલિકે પાકિસ્તાનમાં લઘુમતીઓની હાલત સુધારવા પર ધ્યાન આપવાની જરૂર છે. મનિષ તિવારી જણાવ્યું હતું કે, મલિક પાકિસ્તાનની આંતરિક પરિસ્થિતિ અંગે ચિંતા કરે અને પાકિસ્તાનમાં લઘુમતી સમુદાય સાથે કરવામાં આવતા વ્યવહાર અંગે આત્મનિરીક્ષણ કરે. મલિકે પોતાના દેશમાં લઘુમતીઓની હાલત સુધારવાની જરૂર છે. વધુમાં મનિષ તિવારીએ જણાવ્યું હતું કે, યુપીએ સરકાર ભારતનાં બંધારણ હેઠળ દરેક નાગરિક સાથે અને દરેક વ્યક્તિ સાથે સમાન વ્યવહાર છે.ભારતનાં બંધારણે તમામ નાગરિકોને સમાન તકો પૂરી પાડી છે. કોંગ્રેસ નેતા જગદંબિકા પાલે મલિકનાં નિવેદન સામે સખત વાંધો ઉઠાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, પાકિસ્તાન એલઓસી મુદ્દા પરથી ધ્યાન હટાવવા માટે આ પ્રકારનાં નિવેદન કરી રહ્યું છે. શિવસેનાએ આ મામલે જણાવ્યું હતું કે, શાહરુખ ખાને મલિકને સખત શબ્દોમાં પ્રતિક્રિયા આપવી જોઇએ. શિવસેનાના મુખપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, મલિક જેટલા સુરક્ષિત પાકિસ્તાનમાં છે તેનાથી પણ વધુ સુરક્ષિત ભારતમાં શાહરુખ ખાન છે.























