રામુની ‘દ એટેક ઑફ 26/11′ પહેલી માર્ચે રિલિઝ થશે
રામગોપાલ વર્માની મુંબઈ હુમલા પર અધારિત ફિલ્મ ‘દ એટેક ઑફ 26/11′ આગામી પહેલી માર્ચે રિલિઝ થઈ રહી છે. કસાબને થયેલી ફાંસી બાદ દેશમાં સર્જાયેલા માહોલને ધ્યાને લઈ રામ ગોપાલ વર્માએ આ ફિલ્મને રિલિઝ કરવાની તૈયારી કરી દીધી હતી. જેના માટે હવે તારીખ નક્કી કરી દેવાઈ છે. આ ફિલ્મમાં મુંબઈમાં થયેલા આતંકી હુમલાની તૈયારીઓથી માંડીને કસાબને અપાયેલી ફાંસી સુધીના દ્રશ્યો સામેલ છે. જ્યારે આ ફિલ્મ બની રહી હતી, ત્યારે કસાબને ફાંસીના દ્રશ્યો ફિલ્મમાં સમાવિષ્ટ કરાયા નહોતા. પરંતુ કસાબને અચાનક અપાયેલા ફાંસી બાદ ફાંસીના દ્રશ્યોને ફિલ્મમાં સમાવી લેવાયા છે. ફિલ્મમાં કસાબને નાટકીય રીતે ફાંસી અપાતા બતાવવામાં આવશે. ફાંસી બાદ દેશમાં સર્જાયેલા માહોલનો લાભ ઉઠાવતા રામ ગોપાલ વર્મા પોતાની આ ફિલ્મને ખૂબ જલ્દી રિલિઝ કરવા માગે છે. જાન્યુઆરીમાં ફિલ્મનું શુટીંગ પૂર્ણ થતાં જ તેમણે ફટાફટ ફિલ્મના પોસ્ટ પ્રોડક્શનનું કામ પણ પૂરું કરી દીધું છે. હવે આ ફિલ્મ લગભગ તૈયાર છે. આ ફિલ્મ સાથે પહેલી માર્ચે જોન અબ્રાહમ, ચિત્રાંગદા સિંહ અને પ્રાચી દેસાઈની મુખ્ય ભૂમિકા વાળી ફિલ્મ ‘આઈ મી ઔર મે’ પણ રિલિઝ થશે























