ગુજરાતમાં ટુજી સ્પેક્ટ્રમ કરતાં પણ મોટો ભ્રષ્ટાચાર: શંકરસિંહ વાઘેલા
ગુજરાત સરકારનું કૃષ્ણા-ગોદાવરી (કે.જી.) બેસિનનું રૂ. ૧.૭૭ લાખ કરોડનું કૌભાંડ ટુ જી કૌભાંડ કરતાં પણ મોટું હોવાનો સનસનાટીપૂર્ણ આક્ષેપ વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ વિધાનસભામાં કર્યો છે. તેમણે સરકાર પર આક્ષેપોની ઝડી વરસાવતાં કહ્યું કે, ૧પ હજાર કરોડનાં આંધણ પછી ૨૦ લાખ કરોડ ઘનફૂટ ગેસનો ભંડાર મળ્યાનો દાવો કરનારી સરકારે જીયો ગ્લોબલ અને ત્રણ દિવસ પહેલાં જ રજિસ્ટર્ડ થયેલી જ્યુબિલન્ટ એક્સ્પો નામની કંપનીને દસ-દસ ટકાના ભાગીદાર બનાવીને ગુજરાત સરકારના જાહેર સાહસ એવા ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ ર્કોપોરેશન(જીએસપીસી)ના ભોગે અબજો રૂપિયાનો ફાયદો કરાવ્યો છે.તેમણે એવો પણ આક્ષેપ કર્યો કે, દક્ષિણ આફ્રિકાના ગ્વાટેમાલાના રહેવાસી જીન પો રોય નામના રખડતા માણસને માત્ર રૂ. ૩ હજારના રોકાણથી ભાગીદાર બનાવીને રૂ. ૧૭ લાખ ૭૧ હજાર ૪૯૮ કરોડનો નફો કરાવવાનો કારસો ઘડાયો હતો. આ કૌભાંડ ટુ જીને પણ વટાવી જાય તેટલું મસમોટું છે.























